તુલસી સર્વ પૂજ્ય વનસ્પતિ ગણાય છે. આ વનસ્પતિ કોઇથી અજાણી નથી. તુલસી દરેક જંગલમાં, દરેક પ્રાંતમાં અને ઘેરે ઘેર જોવામાં આવે છે, જેથી તેની વિશેષ ઓળખાણની જરૂર નથી. તુલસીની બે જાત છે, એક શ્વેત તુલસી અને બીજું કૃષ્ણ તુલસી. પહેલી જાતના પાન ડાળીઓ વગેરે લીલા હોય છે, જ્યારે બીજું કૃષ્ણ તુલસીના પાંદડા અને ડાળીઓનો રંગ કાળાશ પડતો હોય છે, ગુણમાં બંને સરખી છે, તો પણ ઔષધિ તરીકે કૃષ્ણ તુલસી વધુ વખણાય છે, એના બબ્બે ફૂટ જેટલાં ઊંચા છોડ થાય છે, અને તેના પાનની ધારે કરકરીઆ એટલે પાન દાતાદાર હોય છે, તેમાં માંજર નીકળે છે ને તેમાં રાઈથી પણ ઝીણા બી થાય છે.
ગુણવાન તુલસી
તુલસી ઉષ્ણ, તીક્ષ્ણ તથા અગ્નિઉદ્દીપક છે તે વાયુ, શ્વાસ, ખાંસી, હેડકીમ ઉલટી, કૃમિ, વિષ, જંતુઓ, તાવ આંચકી ઉપર અપાય છે. સ્વાદે તીખી છે. તે સુગંધી, દાહકાર, પિત્તકાર, હ્રદયને હિતકારી, તૂરી તથા લઘુ (હલકી) છે તે ખાંસી, દેડકી, ઉલટી, દુર્ગંધ, કોઢ, પડખાનું શૂળ, વિશ, મૂત્રકૃચ્છ, રક્તદોષ તથા શૂળનો નાશ કરે છે.
ઉપયોગી તુલસી
1 ઉલટી, હેડકી-જવર ઉપર તુલસીના લીલા પાંદડાનો રસ અથવા ઉકાળો આપવો. આ ઉપચાર ખાંસી, શ્વાસ તથા વિષમાં સારો ફાયદો કરે છે, તે સાથે મરીની ભૂકી આપવાનો પણ પ્રયોગ ફાયદાકારક રહે છે.
2 છાતીના દરદ ઉપર – તુલસીનો રસ તોલા 1 થી 2 સાકર નાખીને પીવો.
3 મોંની દુર્ગંધ – તુલસીના પાનને વાટી તેનું પાણી કરવું, તે પાણીના કોગળા કરવા કે પાન ચાવવા, તેથી મોંની દુર્ગંધ દૂર થાય છે.
4 સાંધા મજબૂત કરવા માટે તેના પાંદડા ચોળી તેનો રસ પીવો.
5 માથાનો વ્યાધિ મટાડવા માટે તુલસીના પાનનો રસ સૂંઘવો.
6 શીળસ ઉપર તેના પાનના રસનો લેપ કરવો.
7 મરડો – તુલસના બીને ખાંડી બાવળના ગુંદર સાથે લેવાથી ઘણો સારો ફાયદો થાય છે.
8 ત્રિદોષ ઉલટી – તુલસીનો રસ થોડું એલચીનું ચૂર્ણ નાખીને પીવો.
9 યકૃતના વ્યાધિમાં તુલસીના બી 2 થી 4 વાળ ગુંદર 2 થી 4 વાળ તેની ફાકી તુલસીના પાનને ખાંડીને તેનો કવાથ કરી પીવાથી કલેજાના દરદોમાં ફાયદો થાય છે.
10 શરદીમાં તુલસીના મૂળિયા ખાંડી ઉકાળીને પીવા. સાથે મરીના દાણા પણ ચાવવા.
11 ગર્ભાશયકે મૂત્રશાયની અવ્યવસ્થામાં તુલસીના બીનો ઉકાળો કે પાનનો રસ પાવામાં આવે છે.
12 સુસ્તી, અરુચિ ઉપર તુલસીના પાનનો ચા પીવો. આશરે એક તોલો પાન કે પંચાંગનું ચૂર્ણ અરધા કે ચોથા ભાગનું પાણી રહે તે પીવું. ઈચ્છા હોય તો તેમાં ચાની પેઠે જરા સાકર તથા દૂધ મેળવાય. એ ચા થી તાવ, દાહ, વાયુ તેમજ પિત્તની શાંતિ થાય છે.
13 શારીરિક ઇજા વિકારો જેવા કે શરદી. વાયુ, આળસ, મંદાગ્નિ વગેરે તુલસી, દૂધ, સાકર તથા એલચી મેળવીને ચા કરી પીવો.
14 વિષમજવર, ટાઢિયો તાવમાં તુલસી ના પાનનાં રસમાં મરીનો ભૂકો નાખી પીવું.
15 દાંતખીલી પર પાનનો રસ નાકમાં મૂકવો, દાંત ઉપર મૂકવો તથા હાથ પગના તળિયામાં ઘસવો.
16 વાયુમાં તુલસી તથા આદુનો રસ મધ નાખી પીવો. અગર તુલસીનો રસ ઘી અને મરીનું ચૂરક નાખીને પીવો.
17 રક્તાતિસાર – આશરે બે આનીભાર તુલસીના બી રાત્રે પાણીમાં પલાળી સવારે ચોળીને પીવાથી લોહીવાળો ઝાડો બંધ થાય છે.
18 બાળકની ઓકરી – તુલસીના પાનનો રસ અરધી ચમચી તેમાં મધ નાખી સવારે પાવું.
19 બાળકને ઉલટી તથા અતિસાર વખતે કાળી અગર ધોળી તુલસીના બી વાટી ગાયના દૂધમાં પાવા બી વાલ 1 થી 2 ઉપર પ્રમાણે.
20 ઉદરના વિષ ઉપર તુલસીના પાનના રસમાં અફીણ વાટીને કરડ ઉપર ચોપડવું.
21 ધનુર્વા ઉપર કાળી તુલસી, લીલું લસણ અને ડુંગળીનો રસ, એકત્ર કરી ત્રણ માસ પાવો અને તેમાનો થોડો રસ શરીરે ચોપડવો.
22 વાયુના સોજા ઉપર તુલસીના પાનનાં રસમાં મરીની ભૂકી અને ઘી નાખીને રસ પીવો.
1 comments on “તુલસી : પૂજ્ય વનસ્પતિ, ગુણ, ઉપયોગ, ઉપાયો”